ચંપારણ એક સદી પછી - સ્મારકોની દુર્દશા, ખેડૂતોની અવદશા

ચંપારણ એક સદી પછી - સ્મારકોની દુર્દશા, ખેડૂતોની અવદશા

આજે પૂર્વી ચંપારણ અને પશ્ચિમ ચંપારણ એમ બે જિલ્લા છે. પશ્ચિમ ચંપારણનું મુખ્ય મથક બેતિયા છે, જ્યારે પૂર્વ ચંપારણનું મોતિહારી. ચંપારણ સત્યાગ્રહ સાથે સંકળાયેલા અનેક સ્મારકો અહીં વેરવિખેર પડયાં છે. ૧૦૦ વર્ષ પછી એમની સ્થિતિ શું છે?
ચંપારણ વિસ્તારની ૭૩ કોઠી પૈકી બેતિયા પાસે આવેલી એકમાત્ર હરદિયા કોઠી આજે ખંડેર સ્વરૃપે હયાત છે. ગળીના પાંદડા એકઠા કર્યા પછી કેવી રીતે ગળીની ગોળીઓ બનતી હશે, તેનો આછો-પાતળો ખ્યાલ અહીંથી મળી શકે છે. આ કોઠી હાલ ખાનગી માલિકી હેઠળ છે. ખાલી પડેલી કોઠીની બાજુમાં અંગ્રેજ અમલદારનો વિશાળકાય બંગલો પણ ભેંકાર પડયો છે. એ જમાનાનું એક દુર્લભ ટ્રેકટર પણ અહીં પડયું છે.
ભીતિહરવા આશ્રમ : ગાંધીજીના નામની એકમાત્ર જમીન!
બેતિયા પાસે આવેલા ભીતિહરવા ગામે ગાંધીજીએ નવેમ્બર ૧૯૧૭માં આશ્રમની સ્થાપના કરી હતી.ભારતમાં આજે ઘણી ગાંધી સંસ્થાઓ છે, પરંતુ ભીતિહરવા એકમાત્ર એવો આશ્રમ છે, જેની જમીન ખુદ ગાંધીજીના નામે હોય. ત્યારે ભારતમાં હજુ ગાંધીજીની શરૃઆત હતી, માટે કદાચ તેમણે જમીન પોતાના નામે રાખી હશે. કસ્તૂરબા અને અન્ય મહિલાઓ વાપરતી હતી એ કુવો, અનાજ દળવાની ઘંટી વગેરે અહીં સાચવી રખાયા છે.

ચંપારણની લડત : ક્યારે શું થયું?
ચંપારણ સત્યાગ્રહ ૧૯૧૭થી લઈને ૧૯૧૮ સુધી ચાલ્યો એમ કહી શકાય. એ દરમિયાન ગાંધીજી ચંપારણમાં કુલ ૧૭૫ દિવસ રહ્યાં હતા. એ દરમિયાનની કેટલીક નોંધપાત્ર તવારીખો..
૧૯૧૭
૧૦ એપ્રિલ  ગાંધીજી પટણા પહોંચ્યા. રાજકુમાર શુક્લ તથા અન્ય સાથીદારો સાથે તેઓ ચંપારણ જઈ રહ્યા હતા.
૧૫ એપ્રિલ  બપોરે ૩ વાગ્યે ગાંધીજી મોતિહારી પહોંચ્યા. ચંપારણની ધરતી પર તેમનું આગમન થયું.
૧૬ એપ્રિલ  સરકારે ગાંધીજીને નોટીસ પાઠવી કે ચંપારણ છોડીને પહેલી ટ્રેનમાં રવાના થઈ જાઓ.
ગાંધીજીએ જવાની ના પાડી દીધી.
૧૮ એપ્રિલ ગાંધીજી કોર્ટમાં રજૂ થયા, પોતાનો ગુનો કબૂલ કર્યો, કોર્ટ સમક્ષ બયાન વાંચી સંભળાવ્યુ. ગાંધીજીની મક્કમતાને કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ અને કેસની મુદત પડી.
૨૦ એપ્રિલ  ગાંધીજી સામે બધા હથિયારો નિષ્ફળ જતાં સરકારે કેસ પાછો ખેંચી લીધો.
૨૨ એપ્રિલ  ગાંધીજી બેતિયા પહોંચ્યા, હજારીમલ ધર્મશાળામાં રહ્યા.
૨૫ એપ્રિલ ખેડૂતોએ પોતાને થતા અન્યાય અંગેના નિવેદનો ગાંધીજી સમક્ષ નોંધાવવાની શરૃઆત કરી
૫ મ ગળી ઉત્પાદક એસોસિએશને ગાંધીજીની કામગીરી વિરૃદ્ધ ઠરાવ પસાર કર્યો અને સરકારને  ફરિયાદ કરી.
૨૪ મે બ્રિટિશ સરકારે ચંપારણના ખેડૂતો માટે તપાસ સમિતિ નિમવાનું નક્કી કર્યું.
૧૪ જૂન ગાંધીજીએ સરકારને જણાવ્યુ કે તેમની પાસે ૮૫૦ ગામના દસેક હજાર ખેડૂતોએ પોતાના નિવેદનો નોંધાવ્યા છે. નિવેદનોમાં ગળીના ૬૦ માલિકો વિરૃદ્ધ ફરિયાદ હતી.
૧૫ જુલાઈ  તપાસ સમિતીના તમામ સભ્યો બેતિયા પહોંચ્યા.
૧૦ ઓગસ્ટ તીન કઠિયા પ્રથા સમાપ્ત થવી જોઈએ એવું તારણ સમિતિએ રજૂ કર્યું.
૭ ઓક્ટોબર ગાંધીજીએ બેતિયામાં ગૌશાળાની સ્થાપના કરી
૧૮ ઓક્ટોબર સરકારે તીન કઠિયા પ્રથા સમાપ્ત કરવાની ભલામણ કરતો તપાસ-પંચનો અહેવાલ મંજૂર કર્યો. આફ્રિકાથી આવ્યા પછી ગાંધીજીની ભારતમાં એ પહેલી નોંધપાત્ર સફળતા હતી.
૮ નવેમ્બર     કસ્તુરબા સાથે ગાંધીજી મોતિહારી આવ્યા અને અહીંના લોકોને શિક્ષિત કરવા અભિયાનનો આરંભ કર્યો
૧૪ નવેમ્બર ઢાકા પાસેના બહડરવા લખનસેન ગામે ગાંધીજીએ શાળાની સ્થાપના કરી.
૧૯૧૮
૧૨ જાન્યુઆરી ગાંધીજી ચંપારણથી અમદાવાદ પરત ફર્યા
૪ માર્ચ ભારતના ગવર્નર જનરલે તીન કઠિયા પ્રથા રદ કરતા કાનૂનને મંજૂરી આપી.
સફળતા પછી ગાંધીજી ઘણી વખત બિહાર ગયા હતા. ૧૯૩૪ની ૧૪મી માર્ચે ફરી મોતિહારી અને આસપાસના વિસ્તારો ફર્યા હતા. ૧૯૩૩માં ચંપારણમાં ભૂકંપ આવ્યો હતો, માટે ગાંધીજીએ ત્યાં રાહત કામગીરી શરૃ કરાવી હતી.
બાપુ ઉતર્યાં એટલે બાપુધામ
મોતિહારીનું ઐતિહાસિક રેલવે સ્ટેશન આજે બાપુધામ મોતિહારીના સત્તાવાર નામે ઓળખાય છે. રોજની લગભગ વીસેક ટ્રેનો અહીં આવન-જાવન કરતી રહે છે. ગાંધીજી ઉતર્યાં હતા એ સ્થળે આજે પ્લેટફોર્મ નંબર ૧ છે, જ્યારે પ્લેટફોર્મ નંબર ૨ પર ગાંધીજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ગાંધીજી સાથે સંકળાયેલી કેટલીક ચીજો અહીં સાચવી રાખવામાં આવી હતી, પરંતુ અનામતના આંદોલન વખતે થયેલી તોડફોડમાં એ બધી યાદગીરી નષ્ટ થઈ ગઈ છે. નવા રૃપ-રંગ સાથે બાપુધામ સ્ટેશન બાપુનો વારસો સાચવીને અણનમ ઉભું છે.
ગાંધી શિક્ષણની શાળા
બેતિયા નજીક વૃંદાવન ખાતે ગાંધીજીએ બુનિયાદી શાળા શરૃ કરી હતી. આજે કેટલાક સ્વયંસેવકો અને સંસ્થાઓ ભારે આર્થિક ભીંસ વચ્ચે પણ આ વિસ્તારમાં ૨૭ જેટલી બુનિયાદી શાળાઓ ચલાવે છે. વૃંદાવન ખાતે ગાંધીજી આવ્યા હતા, ત્યારે તેમણે રજિસ્ટરમાં હસ્તાક્ષર કર્યા હતા.
મિટિંગની રાહ જોઈ રહેલું ટેબલ
ગાંધીજી સહિતની સમિતિના સભ્યો જે કદાવર ટેબલ ફરતે બેસીને મિટિંગ કરતા હતા એ ટેબલ આજે ય મોતિહારીના ગાંધી સ્મારક સંગ્રહાલયમાં સચવાયેલું છે. ચંપારણના (અને બિહારના પણ) ખેડૂતોની અવદશા અંગે આજે સમિતિ મળે તો પણ તેની બેઠક આ ટેબલ ફરતે કરી શકાય છે.
૧૦૦ વર્ષની ઊજવણી છે, આયોજન નથી
બિહારમાં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દીની ઉજવણી સર્વત્ર થઈ રહી છે. ઠેર ઠેર તેના વિશાળકાય પોસ્ટરો લગાવાયા છે. ખેડૂતોનું સન્માન, રાષ્ટ્રપતિ-વડા પ્રધાનની હાજરી સહિતના કાર્યક્રમો છે. પરંતુ ચંપારણ સત્યાગ્રહ સાથે સંકળાયેલા સ્થળોની નથી જાળવણી થઈ રહી કે નથી સાફ-સફાઈ થઈ રહી. ઉજવણી માત્ર બિહાર સરકાર કરવા ખાતર કરી રહી હોય એવી હાલત છે. અનેક નાની-મોટી સંસ્થાઓ પણ પોતાની રીતે કાર્યક્રમો કરી રહી છે. તો વળી વિવિધ ગાંધી સંસ્થાઓ એકબીજા સાથેના મતભેદો યથાવત રાખીને પોતપોતાના કાર્યક્રમો કરી રહી છે. ગાંધીજીએ ૧૦૦ વર્ષ પહેલા ચંપારણમાં સફાઈ પર ભાર મૂક્યો હતો અને આજે પણ ચંપારણની ધરતીને પગતળે કરીએ તો ખબર પડે કે સફાઈ-શિક્ષણની એટલી જ જરૃર છે, જેટલી ત્યારે હતી.

 
ગળીઃ ઇતિહાસના દરેક વળાંક પર છંટાયેલો ભૂરો રંગ
ગળીની ખેતી હવે તો થતી નથી, પણ મોતિહરીના સ્મારક ખાતે ગળી નો એક છોડ નમૂના સ્વરૂપે રાખવામાં આવ્યો છે
ઉડિયા કવિ સત્યાનંદ રાઉતરાયે ગળી વિશેની એક કવિતામાં સમયદેવતાની ‘ગળીના ભૂરા રંગમાં સમયદેવતાની છબી સ્પષ્ટ દેખાય છે’
પ્રથમ સત્યાગ્રહ તરીકે ગળીની પસંદગી કરવાનો ગાંધીજીનો નિર્ણય યોગ્ય જ હતો. આર્યો અને દ્રવિડોના સંઘર્ષમાં પણ ગળી કારણભૂત બની હતી. પાંચમી સદીમાં સમ્રાટ સ્કંદગુપ્તને પણ ગળીના કારણે જ પ્રજા સમક્ષ ઝુકવું પડયું હતું.  
ઉડિયા ભાષાના વિખ્યાત કવિ સત્યાનંદ રાઉતરાયે ગળી વિશેની એક કવિતામાં સમય દેવતાને સંબોધીને લખ્યું છે, 'નીલ ટોહો છવી લેય... ગળી તો તારી (ઈશ્વર)ની છબી છે... ચોખ્ખા આકાશની ભૂરાશની અમને ઈર્ષ્યા થતી હતી ત્યારે તેં (ઈશ્વરે) અમને ગળીની ભેટ આપી... પારદર્શિતાનો એ રંગ હવે ધરતી પર પણ અમને તારું સ્મરણ કરાવે છે...'  
કપડાંને ભૂરા રંગે રંગતી ગળી પહેલી નજરે મુદ્દલ એક નૈસર્ગિક રસાયણ છે પરંતુ એક આખા ય પ્રદેશના લોકજીવનને મન એ પરંપરા છે. ગળીનો મહિમા એટલો અનેરો છે કે સદીઓ સુધી ગળી એ માનવ સભ્યતાનું અર્થકારણ, સમાજકારણ અને યુદ્ધકારણ પણ બનતી રહી છે. ગળીને ભારત સાથે સીધો સંબંધ રહ્યો છે. તેનું અંગ્રેજી નામ 'ઈન્ડિગો' એ 'ઈન્ડિયા' સાથેનો તેનો નાતો સૂચવે છે, અને ભારતના ઈતિહાસના દરેક વળાંક પર ગળીના ભૂરા રંગની ઝાંય જોવા મળે છે.
ગળીના મૂળ જૈવવૈજ્ઞાાનિક રીતે સાત-આઠ ફૂટથી ખાસ ઊંડા નથી હોતાં, પરંતુ તેના ઐતિહાસિક મૂળિયા આજથી આઠ-દસ હજાર વર્ષ પૂર્વે છેક માનવ સભ્યતાના આરંભને અડે છે. સિંધુ કાંઠાની સમાંતરે પાંગરેલી સભ્યતાના લોકો ગળીના રંગથી કપડાં રંગતાં હોવાના પૂરાતત્વિય પ્રમાણો પ્રાપ્ત થયા છે. આર્યોના આગમન પહેલાંની એ સભ્યતા ગળીના છોડ, ઉછેર અને ઉપયોગિતાથી સુપેરે માહિતગાર હતી અને ગળીના રંગને સૂકવવામાં માહેર પણ હતી.
ઈસવીસન ૬૦૦૦ વર્ષ પૂર્વે સિંધુ ખીણની નગર સંસ્કૃતિના વેપાર કેન્દ્રો થકી સિલ્ક રૃટ તરીકે ઓળખાતા માર્ગ દ્વારા આજના મધ્ય એશિયા થઈને પૂર્વે છેક ચીન અને પશ્ચિમે ગ્રીસ સુધી ગળીના ભૂકાનો વેપાર થતો હતો. સિંધુ ખીણની સભ્યતાની આર્થિક ઉન્નતિમાં ગળીના વેપારનો એટલો મોટો ફાળો હતો કેે નવી જમીનની શોધમાં ખૈબરઘાટના માર્ગે સિંધુ પ્રદેશમાં પ્રવેશેલા આર્યોએ દ્રાવિડોને નમાવવા માટે સૌ પ્રથમ ગળીના વાવેતર પર જ હુમલો કરવાનું પસંદ કર્યું હતું.
પ્રાચીન નગર સભ્યતાના લોકો ઉત્પાદન અને તાંત્રિક બાબતોમાં નિષ્ણાત હતા, જ્યારે આર્યો ખેતી, પશુપાલન અને સિંચાઈમાં માહેર હતા. આર્યોએ દ્રવિડ વસાહતના ખેતરોમાં પહોંચતા પાણી રોકવા માટે નદીના ઉપરવાસમાં આડબંધ બાંધવા માંડયા અને એ રીતે ગળીના ખેતરો સૂકાવા લાગ્યા. આર્યો અને દ્રાવિડો વચ્ચેના સંઘર્ષનો એ આરંભ અને તેનું નિમિત્ત બની હતી ગળી.
આર્ય અને દ્રવિડ વચ્ચેના સંઘર્ષના કારણે ક્રમશઃ સિંધુ ખીણની સભ્યતાઓ પીછેહઠ કરતી ગઈ અને ગંગા-જમુનાના દોઆબ તરીકે ઓળખાતા મેદાની વિસ્તારોમાં આર્યો ફરી વળ્યા. અનુ, દ્રુહ્યુ, તુત્સુ, ભરત, યયુ એવા આર્ય જનપદો ખેતી, પશુપાલન પર આધારિત સમાજરચના ધરાવતા હતા અને ખેતીમાં પણ અનાજની સાથે ગળીના વાવેતરનું પણ એટલું જ મહત્ત્વ હતું. દ્રાવિડો પાસેથી શીખેલી ગળીની ખેતી આર્યોએ તો જાળવી જ, દ્રાવિડો પણ કાળક્રમે સહ્યાદ્રીની નૈસર્ગિક દિવાલ ઓળંગીને કાવેરીના સામા કાંઠે સ્થાયી થયા અને ત્યાં પણ ગળીની ખેતી જાળવી રાખવી.
બ્રહ્મવૈવર્તપુરાણમાં આર્યોની ખેતઉપજ તંદુરસ્ત રહે, માફકસરની વૃષ્ટિ થાય અને જીવાતરૃપી ઉપદ્રવ નાબુદ થાય એ માટે જે પ્રાર્થનાઓ છે તેમાં પણ દૂધ, ધન, ધાન્ય, આયુર્વનસ્પતિની સાથેસાથે ગળીનો પાક સલામત રહે એવો ઉલ્લેખ દર્શાવે છે કે ગળીના વાવેતર આર્થિક રીતે પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ હતા.
બંગાળમાં બર્દવાન નજીકથી પ્રાપ્ત થયેલા એક અભિલેખમાં બહુ રસપ્રદ ઉલ્લેખ છે. સમ્રાટ સ્કંદગુપ્તના સમયમાં (ઈસ્વિસનની પાંચમી સદીમાં) હુણ આક્રમણને ખાળવા માટે રાજ્યની ઘણી ખરી શક્તિ ખર્ચાઈ રહી હતી ત્યારે સ્કંદગુપ્તના પ્રધાન વૈવદત્તે ગળીના વાવેતર રાજ્ય હસ્તક લઈ લેવાનું અને એ રીતે આવક વધારવાનું સુચન કર્યું હતું. પ્રજામાં તેની સામે ભારે રોષ પ્રગટયો હતો. અમૂક વર્ષ સુધી ગળીના ઉત્પાદન લોકો પાસે કરાવીને તેની તમામ આવક રાજકોષમાં જમા કરાવવામાં આવતી હતી. આખરે પ્રજાની નારાજગી એટલી વધી કે સમ્રાટ સ્કંદગુપ્તે ગળીના વાવેતર પરનો કર વધારીને સંતોષ માન્યો હતો.
સ્કંદગુપ્તના સમયની આ ઘટના ભારતના (આજના) બંગાળમાં બની હતી, હવે એવી જ બીજી ઘટનાને સાંકળો તો ખ્યાલ આવશે કે ગળીના ભૂરા આકર્ષણને સમય કે સરહદના કોઈ સિમાડા નડયા નથી. વાત છે ૧૮૭૯ના અમેરિકાની. અમેરિકાએ સરકારી તિજોરીની ખાધ પર અંકુશ મૂકવા આયાત પર ટેક્સ ખાસ્સો વધારી દીધો. ભારતથી મોટા પ્રમાણમાં આયાત થતી ગળી પણ તેમાં અડફેટે ચડી ગઈ.
એ સમય એવો હતો કે આજે આધુનિક પહેરવેશ તરીકે અત્યંત લોકપ્રિય બની ચૂકેલા જીન્સનો એ આરંભકાળ હતો. ગળીના રંગે રંગાયેલું જાડું, ખદ્દડ કાપડ મહેનતકશ લોકોના પહેરવેશ તરીકે ભારે ઉપયોગી સાબિત થઈ ચૂક્યું હતું. મૂળ તેનો આવિષ્કાર ફ્રાન્સના નિમ્સ શહેરમાં, એટલે તે 'સર્જ ડી નિમ્સ' (નિમ્સના પાટલૂન) તરીકે ઓળખાતું હતું અને પછી અંગ્રેજીમાં અપભ્રંશ થઈને તે 'ડેનિમ' થઈ ગયું હતું. ગળી પરનો ટેક્સ વધ્યો એટલે આયાત ઘટી ગઈ. આયાત ઘટી ગઈ એટલે ડેનિમનું ઉત્પાદન ઘટતું ઘટતું ક્રમશઃ બંધ થવા આવ્યું. પરંતુ નાવિકો, મજૂરો, ખાણિયાઓ જેવા કારીગર વર્ગમાં જિન્સ એટલાં લોકપ્રિય થઈ ગયા હતા કે આવા મહેનતકશ લોકોએ ડેનીમના બેકાર થયેલા કામદારો સાથે વણાટના કારખાનાઓ પર જનતારેડ પાડવા માંડી. છેવટે સરકારે ગળી પરનો ટેક્સ ઘટાડયો ત્યારે જ લોકોના લીલાછમ આક્રોશને શાંતિની ભૂરાશ સાંપડી હતી.
ઈસ્વીસન પૂર્વે ૭૦૦૦ વર્ષ... ઈસ્વીસન ૪૭૦... ઈસ્વીસન ૧૯૧૭...
ઇતિહાસના દરેક વળાંક પર ગળીનો રંગ છંટાયેલો છે. આફ્રિકાથી પરત આવ્યા પછી ગાંધીજી દેશવ્યાપી આંદોલન માટે યોગ્ય મુદ્દાની તલાશમાં હતા. એ જ વખતે તત્કાલીન બંગાળ પ્રાંતના આગેવાનો દ્વારા તેમને ગળીના મજૂરોના શોષણની માહિતી મળી. સેંકડો એકરમાં ફેલાયેલા ગળીના ખેતરો ધરાવતા નીલ જમીનદાર યાને મોટા ખેડૂતો ગળી કામદારો, ખેતમજૂરોને પૂરતી મજૂરી ચૂકવતા નથી, બરડાફાડ કામ કરાવે છે અને બદલામાં પૂરતું વેતન પણ આપતાં નથી એવી ફરિયાદોને ગાંધીજીએ ગંભીરતાથી લીધી. પોતે ચંપારણની મુલાકાત લઈને જાતતપાસ કરી અને અંગ્રેજો સામે સત્યાગ્રહ કરવા માટે તેમને પહેલો મુદ્દો અહીં જડયો.
નેતા તરીકે મુદ્દો પારખવાની એ ગાંધીજીની કાબેલિયત ગણવી કે હિન્દના ઇતિહાસના દરેક વળાંક પર હાજર રહેવાની ગળીની તકદીર ગણવી? માત્ર ચાર-પાંચ ફૂટનો છોડ, સાધારણ વનસ્પતિ જેવો જ દેખાવ અને નિસર્ગે આપેલો સંમોહક, આસમાની ઝાંય ધરાવતો ભૂરો રંગ...
ઉડિયા કવિએ યોગ્ય જ કહ્યું છે, 'નીલ ટોહો છવી લેય... ગળીના ભૂરા રંગમાં સમયદેવતાની છબી સ્પષ્ટ વર્તાય છે'!
હજારીમલ ધર્મશાળા : ગાંધીના નામે ચાલતો વેપાર
બેતિયામાં ગાંધીજી આવ્યા ત્યારે ૧૮૯૨માં સ્થપાયેલી હજારીમલ ધર્મશાળામાં રહ્યા હતા. એ ધર્મશાળાનો ઘણો-ખરો ભાગ આજે તૂટી પડયો છે અને ત્યાં શોપિંગ કોમ્પલેક્સ બંધાઈ ગયુ છે. ધર્મશાળાનો થોડોક ઢાંચો બાકી રહ્યો છે, જે ગમે ત્યારે પડે એમ છે.
ગાંધી ન હોત તો, દુનિયા આટલી ખુબસૂરત ન હોત!
* ગાંધીજીના સત્યાગ્રહની તાકાતથી પ્રભાવિત થયેલા વાઈસરોય વિલિંગ્ડને લખ્યું હતુ : જો ગાંધી ન હોત તો દુનિયા આજે છે, એટલી સુંદર પણ ન હોત!
* ચંપારણ સત્યાગ્રહની યાદમાં સરકારે દિલ્હીથી મોતિહારી વચ્ચે ખાસ ચંપારણ સત્યાગ્રહ એક્સપ્રેસ ટ્રેન શરૃ કરી છે. અલબત્ત, ગાંધીજી સમય પાલનના ચુસ્ત આગ્રહી હતા, પરંતુ આ ટ્રેન ભાગ્યે જ સમયસર મોતિહારી પહોંચે છે.
* રાજેન્દ્ર પ્રસાદ, બ્રજ કિશોર, ધરણીધર બાબુ વગેરે એ વખતના બિહારના પ્રથમ હરોળના વકીલો હતા. ત્યારે તેઓ કેસની દસ હજાર રૃપિયા જેવી માતબર ફી લેેતાં હતા. પરંતુ ગાંધીજી સાથે જોડાયા પછી પોતાના કામો હાથે કરતાં થઈ ગયા હતા. કેટલાક વકીલ સત્યાગ્રહ વખતે પોતાના નોકર-ચાકર સાથે લઈને આવ્યા હતા. ગાંધીજીને ખબર પડી ત્યારે તેમણે બધાના નોકર પરત મોકલાવી દીધા હતા.
* ચંપારણમાં ભોજપુરી, મૈથીલી વગેરે ભાષા વપરાય છે. ગાંધીજી પહોંચ્યા ત્યારે પણ એ જ ભાષાઓ હતી, જે ગાંધીજીને સમજાતી ન હતી. ત્યાંના ખેડૂૂતો હિન્દી જાણતા ન હતા. માટે ગાંધીજીએ દુભાષિયાઓની મદદ લેવી પડતી હતી.
* લડત શરૃ થઈ એટલે તુરંત ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં મગનલાલ ગાંધીને પત્ર લખ્યો અને તેમાં લખ્યુ : રામચંદ્ર, ભરત, જનક, સીતીજીએ જે મુલકમાં વિહાર કર્યો છે તે બિહારમાં હું જેલમાં જઈશ એવુ તો આપણે કોઈએ નહીં ધાર્યુ હોય (જોકે પછી ગાંધીજીને ત્યાં જેલમાં જવુ પડયુ ન હતું).
ગાંધીજીએ શરૃ કરેલી પ્રથમ શાળા
૧૯૧૭ની ૧૪મી નવેમ્બરે ગાંધીજીએ ઢાકા પાસે આવેલા બહડરવા લખનસેન ગામે સ્કૂલની સ્થાપના કરી. ભારતમાં ગાંધીજીએ સ્થાપેલી એ પ્રથમ સ્કૂલ. ૧૦૦ વર્ષ પછી મૂળ સ્કૂલ ખખડધજ થઈ ગઈ છે, એટલે તેનું રિપેરિંગ કાર્ય ચાલી રહ્યું છે. આસપાસ બંધાયેલા નવા મકાનોમાં જોકે શાળા ચાલુ જ છે.
ચંપારણ : રાજા જનકની ભૂમિ
ચંપારણને રાજા જનકની ભૂમિ ગણવામાં આવે છે. સિતા અહીંની ધરતીમાંથી પેદા થઈ હતી. માટે જ કદાચ આજેય ત્યાંની ધરતી અત્યંત ઉપજાઉ છે. આ તસવીર ચંપાના છોડની છે, જેના નામે વિસ્તાર ચંપારણ કહેવામાં આવે છે.
કેટલાં નૂર કપડાં?
ચંપારણ આવ્યા ત્યારે ગાંધીજી આવા દેહાતી પોશાકમાં સજ્જ હતા. એક કોઠી માલિકે તો ગાંધીજીના પોશાક અંગે ટીકા ટિપ્પણી કરતો લેખ પણ અખબારમાં લખ્યો હતો. મોતિહારીના સ્મારકમાં ગાંધીજીની આ પ્રતિમા ઉભી રાખવામાં આવી છે.
ગોરખ બાબુનું ઘર, આજે થયું બેઘર
મોતિહારી આવ્યા ત્યારે તેમને જોવા સૌ કોઈ આવ્યા હતા, પણ કોઈ ગાંધીજીને રાખવા તૈયાર ન હતા. અંગ્રેજ સત્તાનો સૌને ડર હતો. એ વખતે વકીલ ગોરખ બાબુ આગળ આવ્યા અને પોતાને ત્યાં ગાંધીજીને લઈ ગયા. એ ઘર આજે ખાનગી હાથોમાં છે. બહાર કોઈ માહિતીનું બોર્ડ નથી, એટલે ત્યાંથી પસાર થતા પ્રવાસીઓને ખબર પડે જ નહીં કે આ દેશી નળિયાથી ઢંકાયેલુ ઘર ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ગાંધીજીને સાચવનારા મકાનને બિહાર સરકાર સાચવી શકી નથી.

ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજી સાથે કોણ કોણ હતા?
રાજકુમાર શુક્લએ સતત પગેરું દાબીને ગાંધીજીને ચંપારણ સુધી આવવા મજબૂર કર્યા હતા. ત્યાં આવ્યા પછી તેમની મદદ કરવા માટે ડો.રાજેન્દ્ર પ્રસાદ સહિતના અનેક નેતાઓ હતા. રાજેન્દ્ર પ્રસાદે જ સત્યાગ્રહ પછી તેનો ઈતિહાસ લખ્યો હતો. બ્રજ કિશોર બાબુ નામના વકિલ ગાંધીજીના આગમન પહેલાથી જ અંગ્રેજો સામે લડત આપી રહ્યા હતા. શેખ ગુલાબ, પીર મહમ્મદ મુનિશ, સીતલ રાય વગેરે સ્થાનિક અગ્રણીઓ ચંપારણ સત્યાગ્રહ સફળ બનાવવા ખડે પગે હાજર રહ્યાં હતા. આચાર્ય કૃપલાણી ત્યારે મુઝ્ઝફરપુરમાં પ્રોફેસર હતા. તેમણે અહીં ગાંધીજીના ઉતારાની સગવડ કરી હતી. ગાંધીજીનું આગમન રાતે થયું ત્યારે તેમના સ્વાગત માટે કૃપલાનીજી પોતે નાળિયેરી પર ચડીને નાળિયેર તોડી લાવ્યા હતા. ગાંધીજી સાથે ઈંગ્લેન્ડમાં ભણતા મૌલાના મઝહરૃલ હક બિહારના એ સમયના મહાજન હતા. ગાંધીજીના આગમન સાથે મદદ કરવા દોડી આવ્યા હતા. ગાંધીજીને મોતિહારીમાં કોઈ આશરો આપવા તૈયાર ન હતા, ત્યારે ગોરખ પ્રસાદે પોતાનું ઘર ફાળવી આપ્યું હતુ.

No comments:

Post a Comment