મહાભારત વાવો તો ગીતા નીકળે.

શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે,
કુવો ખોદો તો આખી સરિતા નીકળે.

જો જનક જેવા આવીને હળ હાંકે
તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે,

હજી ધબકે છે કયાંક લક્ષ્મણ રેખા
કે રાવણ જેવા ત્યાંથી બીતા-બીતા નીકળે.

છે કાલિદાસ ને, ભોજના ખંડેરો
જરીક ખોંતરો ત્યાં કવિતા નીકળે,

સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની
કે મહાભારત વાવો તો ગીતા નીકળે.

                                    *-  કવિ દાદ*

No comments:

Post a Comment